આપણા સમાજને સુસંગઠિત કરી, સમાજમાં બંધુભાવ નિર્માણ કરવા પોતાના જીવનને ચંદનકાષ્ટની જેમ ઘસી નાખનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. શ્રી કેશવ બલિરામ હેડગેવારજીની પાવન સ્મૃતિમાં તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વર્ષ ૧૯૮૮માં આ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. વિવિધ સેવાકાર્યો દ્વારા સામાજિક સમરસતા નિર્માણ કરવા માટે ટ્રસ્ટ પ્રવૃત્તિશીલ છે. એકાત્મ, એકરસ, શોષણમુક્ત સમાજનું નિર્માણ એ જ આપણા સૌનું લક્ષ્ય છે.
આપણું ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ ટ્રસ્ટ ગાંધીનગરમાં છેલ્લા ૩૮ વર્ષથી સતત સમાજના જાગરણ અને ઉત્કર્ષ માટે સેવારત છે. પ્રારંભિક તબક્કે ટ્રસ્ટ દ્વારા ૧૫ વર્ષ સુધી સેક્ટર-૨૪, ગાંધીનગર સેવા વસ્તીમાં સાપ્તાહિક દવાખાનું તથા જી.ઈ.બી. પાસેની સેવા વસ્તીમાં બાલસંસ્કાર કેન્દ્ર અને શીશુ મંદીરની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય માટે વર્તમાન અરવલ્લી જિલ્લાના મોડાસા પાસેના બ્રાહ્મણ કોટડા ખાતે મેઘરજના ડૉક્ટરોની સહાયથી ટી.બી. સારવાર કેન્દ્ર દ્વારા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપી ટી.બી. જેવા રોગને નામશેષ કરાયો હતો. તેમજ ભીલોડા અને ટોરડા ખાતે મહિલા સ્વાવલંબન માટે શિવણવર્ગો દ્વારા જનજાતિ સમાજની બહેનોને સ્વાવલંબી બનાવેલ હતી.
વર્તમાનમાં સમાજના વંચિત બંધુઓની વસ્તીમાં વિદ્યાર્થીઓ માટે નોટબુક-પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ૧૪ જેટલી આર્થિક દ્રષ્ટીથી ગરીબ વસ્તીમાં બાળકો માટે પાઠદાન કેન્દ્ર તથા સંસ્કાર કેન્દ્રથી સમાજ ઉત્કર્ષનું કાર્ય ચાલી રહ્યુ છે. આપણા આ ટ્રસ્ટ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સુદૂર જનજાતિ વિસ્તારો તથા ગામડાઓમાં ૧૨૭ આયુર્વેદ પેટી વડે સ્વાસ્થ્ય સેવા કરવામાં આવે છે. ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ ટ્રસ્ટના કાર્યાલય પર એકલવ્ય પુસ્તકાલય, મેડીકલ સાધન સહાય તેમજ છાત્રાવાસનું સેવાકાર્ય ચાલી રહ્યું છે. સમયાંતરે મેડીકલ કેમ્પ, વૃક્ષારોપણ, રાષ્ટ્રીય તથા ધાર્મિક તહેવારોની ઉજવણી પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મહિલા જાગરણ તથા ઉત્કર્ષ માટે વિવિધ સંમેલન કે સાંપ્રત વિષયો પર વ્યાખ્યાન- સંગોષ્ઠી જેવી પ્રવૃત્તિ પણ આ ટ્રસ્ટ દ્વારા થાય છે.
કુદરતી હોનારતો કે કોરોના જેવી મહામારી સમયે પણ સમાજ સેવાનું તત્પરતાથી કાર્ય કર્યું છે, જેમ કે આંધ્રમાં આવેલ વાવાઝોડુ, લાતુરમાં આવેલ ભૂકંપ તથા કચ્છના વાવાઝોડા અને ભૂકંપમાં આર્થિક સહાય તથા ટ્રસ્ટના કાર્યકર્તાઓએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી. ગાંધીનગર અક્ષરધામ ઉપર થયેલ આતંકી હુમલા સમયે પણ સ્વયંસેવકોએ રક્તદાન અને દર્દીઓની સુશ્રુતાની કામગીરી કરી હતી. પૂરપીડીત સહાયતા, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સુખડી વિતરણ, કોરોના વખતે આયુર્વેદીક દવા તથા ઉકાળાનું વિતરણ તેમજ ઓક્સિજન, ટીફીનની સેવા અને અંતિમધામમાં સેવાભાવથી કાર્યકરોએ સેવા આપી છે.
ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં આયોજિત થનારા કાર્યક્રમો, શિબિરો અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી અહીં પ્રદર્શિત કરવામાં આવશે. અમારી આગામી પ્રવૃત્તિઓ અંગેની માહિતી માટે આ પેજની નિયમિત મુલાકાત લેતા રહો.
No posts
